ટ્રેન દાદર સ્ટેશન નજીક આવે ત્યારે તુળશી ભગત જૂની સાડીઓમાં બાંધેલ પાંદડાના બે મોટા પોટલાં સાથે તૈયાર થઈ જાય છે – ટ્રેન હજુ ચાલુ હોય ત્યારે તે 35 કિલોના બે પોટલા વારાફરતી પ્લેટફૉર્મ પર ફેંકે છે. “જો અમે બોજો [ભાર] ટ્રેન ઊભી રહે તે પહેલા ફેંકી ન દઈએ તો આટલા વજન સાથે ટ્રેનમાંથી ઊતરવું અશક્ય હોય છે કારણ કે કેટલાંય લોકો ટ્રેનમાં ચઢવા માટે રાહ જોતા હોય છે,” તે કહે છે.
પછી તુળશી ઉતરે છે, તેના પોટલાં પ્લેટફૉર્મ પર પડ્યાં હોય ત્યાં પાછી જાય છે, એક પોતાના માથે મૂકે છે અને ભાગતી ભીડમાંથી રસ્તો કરીને સ્ટેશનની બહાર આવેલા ફૂલ બજારે જાય છે. ત્યાં તે પોતાની નિયમિત જગ્યાએ પોટલું મૂકે છે. પછી પ્લેટફૉર્મ પર પાછી જાય છે અને પોતાના બીજા પોટલા સાથે વળી એજ માર્ગે પાછી આવે છે. “એક સમયે હું મારા માથા પર એક જ ભાર ઉપાડી શકું છું,” તે કહે છે. બંને પોટલાં સ્ટેશનમાંથી ફૂલ બજાર સુધી લાવવામાં એને લગભગ 30 મિનિટ થાય છે.
પરંતુ આ તો તુળશીના કામના દહાડાનો એક માત્ર નાનકડો હિસ્સો છે, એનો દહાડો સતત 32 કલાક ચાલે છે. આ સમય દરમિયાન એ 70 કિલોના વજન સાથે લગભગ 200 કીલોમીટરની મુસાફરી કરે છે. 32 કલાકના લાંબા ગાળા પછી એમને 400 રૂપિયા મળે છે.









