તેઓ સંપૂર્ણ પીપીઈ કીટમાં આવ્યા, જાણે દક્ષિણ ૨૪ પરગણા સ્થિત એ ગામમાં પરગ્રહવાસીઓ ઉતરી રહ્યા ન હોય!! હરનચંદ્ર દાસ કહે છે કે, “જાણે હું કોઈ જાનવર હોઉં તેમ તેઓ મને પકડવા આવ્યા.” તેમના મિત્રો તેમને હરુ કહે છે – પરંતુ તેમને લાગે છે કે એ બધા હવે તેમના મિત્રો નથી. તાજેતરમાં તેઓએ (મિત્રોએ) તેમનો બહિષ્કાર કર્યો છે. તેઓ ઉમેરે છે, “અને લોકોએ મારા પરિવારને કરિયાણું અને દૂધ આપવાનું બંધ કરી દીધું. અમને ઘણી રીતે હેરાન કરવામાં આવ્યા અને અમે ઘણી રાત ઊંઘ્યા વગર વિતાવી. અમારા બધા પડોશીઓ અમારાથી ડરે છે.” હરનચંદ્રનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો છતાં તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો.
તેમનો અપરાધ: તેઓ હોસ્પિટલમાં કામ કરે છે. અને મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ આવા વિરોધનો સામનો કરી રહ્યા છે. કદાચ જીલ્લા કક્ષાના કર્મચારીઓ પણ તેમને કોરોના સંક્રમણ થયું હોવાની શંકાના આધારે તેમને ખોળતા આવ્યા હતા.
તેઓ કહે છે કે, “બધા ડરતા હતા કે હું હોસ્પિટલમાં કામ કરું છું તેથી હું સંક્રમિત જ હોઈશ.”
લગભગ 35 વર્ષના હરનચંદ્ર કોલકતાની ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ (આઈસીએચ) ના જાળવણી રૂમમાં કામ કરે છે. ટ્રસ્ટ દ્વારા નફાના હેતુ વિના ચલાવવામાં આવતી આ હોસ્પિટલ કોલકતા શહેર ઉપરાંત ગ્રામીણ અને પરા વિસ્તારોના બાળકોની સારવાર પણ કરે છે. આ ભારતની પ્રથમ બાળ ચિકિત્સા સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૫૬માં કરવામાં આવી હતી. પાર્ક સર્કસ વિસ્તારમાં આવેલી ૨૨૦ પથારીવાળી આ હોસ્પિટલમાં ઈલાજ માટે આવતા બાળકોના પરિવારોને અહીં મળે છે તેવી વૈદકીય સારવાર માટે અન્ય કોઈ હોસ્પિટલમાં જવું કે ત્યાંનો ખર્ચ વેઠવો મુશ્કેલ હોય છે.
જો કે કોવિડ-૧૯ અને લોકડાઉને તેમના માટે આઈસીએચ સુધી પહોંચવું પણ મુશ્કેલ કરી દીધું છે. દક્ષિણ ૨૪ પરગણાના એક ગામથી હમણાં જ આવેલા રતન વિશ્વાસ કહે છે કે, “અહીં પહોંચવું એ એક સમસ્યા છે. હું પાનના ખેતરમાં દાડિયા તરીકે કામ કરતો હતો. અમ્ફાને [૨૦ મે એ આવેલ ચક્રવાતે] એ ખેતરને નષ્ટ કરી દીધું અને મેં મારી આવકનો સ્ત્રોત ગુમાવ્યો. હવે મારા નાના બાળકને તેના કાન પાછળ આ ઇન્ફેકશન થયું છે, માટે અમે તેને અહીં લાવ્યા છીએ. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે આ હોસ્પિટલ સુધી પહોંચવું અઘરું હતું.” દાસ જેવા લોકો હોસ્પિટલ સુધી પહોંચવા માટે અને રિક્ષા ઉપરાંત અમુક અંતર ચાલીને પણ કાપે છે.
આઈસીએચના ડોકટરો ચેતવણી આપી રહ્યા છે કે હજી વધુ સમસ્યાઓ આવવાની બાકી છે.




















