તેઓ ૫૦ વર્ષ પહેલા તેમના દ્વારા બનાવાયેલા કોલ્હાપુરના એ મજબૂત બંધના નાનકડા પુલ પર ધગધગતા તાપથી સંપૂર્ણપણે બેફિકર થઈ, શાંતિથી બેઠેલા છે. અને પહેલાં બપોરના ભોજન સમયે અમે એમને ઉઠાવેલા પ્રશ્નોના શાંતિથી જવાબ આપી રહ્યા છે. પૂલ ઉપર તેઓ અમારી સાથે પૂરજોશથી અને ઉત્સાહથી ચાલી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે ૧૯૫૯માં આ બંધ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હતો.
છ દાયકાઓ પછી પણ, ગણપતિ ઈશ્વર પાટિલ ને હજુ પણ સિંચાઈની સમજ છે, અને ખેડૂતો અને ખેતી વિશે જાણકારી છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસનું જ્ઞાન છે, જેના તેઓ સહભાગી હતા. તેઓ ૧૦૧ વર્ષના છે અને ભારતના અંતિમ જીવિત સ્વાતંત્ર્ય સેનાનીઓ
તેઓ ૧૯૩૦ના દાયકા પછીના તેમના જીવન વિશે ધ્યાન ખેંચે એવા સંકોચ અને વિનમ્રતા સાથે કહે છે, “હું ફક્ત એક સંદેશવાહક હતો. બ્રિટીશ-વિરોધી ગુપ્ત ગતિવિધિઓ માટે એક સંદેશવાહક.” એમાં પ્રતિબંધિત કમ્યુનિસ્ટ આંદોલનકારી સમૂહો, સમાજવાદીઓ – અને કોંગ્રેસ પાર્ટી (૧૯૪૨ના ભારત છોડો આંદોલન આસપાસ)ના નેટવર્ક શામેલ હતા. તેઓ તેમના કામમાં નિપુણ હશે – કેમ કે તેઓ ક્યારેય પકડાયા નહોતા. તેઓ જાણે માફી માગતા હોય એ રીતે કહે છે, “હું ક્યારેય જેલમાં નથી ગયો.” અમને બીજા લોકો પાસેથી જાણવા મળ્યું કે તેમણે તામ્ર-પત્ર (કોતરેલ પ્રશંસાપત્ર) પણ સ્વીકાર્યું નથી કે ન તો ૧૯૭૨ પછી સ્વાતંત્ર્ય સેનાનીઓને આપવામાં આવેલું પેન્શન સ્વીકાર્યું છે.







