જેઠાભાઈ રબારી કહે છે, “મહેરબાની કરીને તેમની બહુ નજીક ન જતા. તેઓ કદાચ ડરી જશે અને ભાગી જશે. પછી આ વિશાળ વિસ્તારમાં તેમની હિલચાલને કાબુમાં કરવાની તો વાત જ જવા દો પણ અહીં તેમને શોધવાનું કામ પણ મારા માટે ખૂબ કંટાળાજનક થઈ પડશે.”
અહીં આ વિચરતી જાતિના પશુપાલક જે ‘તેઓ’ અને ‘તેમને’ની વાત કરી રહ્યા છે તે કિંમતી ઊંટો છે. જે ખોરાકની શોધમાં આસપાસ તરે છે.
ઊંટો? તરે છે? ખરેખર?
હા, ભાઈ હા. જેઠાભાઈ જે ‘વિશાળ વિસ્તાર’ ની વાત કરી રહ્યા છે, તે દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય [મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરી – એમ.એન.પી. & એસ.] છે જે કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલું છે. અને અહીં, વિચરતા પશુપાલકોના સમુદાય દ્વારા ઉછેરવામાં આવતા ઊંટોના ટોળાઓ એક ટાપુથી બીજા ટાપુ સુધી તરીને તેમના આહાર માટે જરૂરી એવી ટાપૂઓ પરની દરીયાઈ વનસ્પતિની (એવિસેનિયા મરીના) શોધમાં નીકળે છે.
કારુ મેરુ જાટ કહે છે, “જો આ પ્રજાતિઓ લાંબા સમય સુધી દરિયાઈ વનસ્પતિ ન ખાય, તો તેઓ બીમાર થઈ શકે છે, નબળાં પડી શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. તેથી મરીન પાર્કની અંદર, અમારા ઊંટોનું ટોળું દરિયાઈ વનસ્પતિની શોધમાં ફરે છે.”

























