પૂરના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયેલો તેમનો પંપ બહાર કાઢવાનો પ્રયાસ કરતા દેવેન્દ્ર રાવત કહે છે, “જુઓ! મારી મોટર માટી હેઠળ દટાઈ ગઈ છે.” દેવેન્દ્ર મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુંઢ ગામના એક ખેડૂત છે. આ 48 વર્ષીય ખેડૂત પૂછે છે, “પૂરથી મારી જમીન ધોવાઈ ગઈ છે અને મારી ત્રણ મોટરો આંશિક રીતે માટીમાં દટાઈ ગઈ છે. એક કૂવો પણ પડી ગયો છે. હવે મારે શું કરવું?”
નરવર તાલુકામાં આવેલું, સુંઢ ગામ સિંધ નદીના બે વિભાગોની વચ્ચે આવેલું છે. ઓગસ્ટ 2021માં જ્યારે આ નદીમાં પૂર આવ્યું ત્યારે તેણે 635 લોકોના (વસ્તી ગણતરી 2011) આ ગામમાં મોટાપાયે તારાજી સર્જી હતી. દેવેન્દ્ર કહે છે કે તેમને યાદ નથી કે છેલ્લી વખત આવું પૂર ક્યારે આવ્યું હતું. તેઓ ઉમેરે છે, “પૂરના પાણીથી ત્રીસ વીઘા [આશરે 18 એકર] માં પથરાયેલા ડાંગરનો નાશ થયો હતો. આ પૂરને કારણે થયેલા ધોવાણને પગલે મારા પરિવારે છ વીઘા [આશરે 3.7 એકર] જમીન કાયમ માટે ગુમાવવી પડી છે.”
કાલી પહાડી ગામ ચારેબાજુથી પૂરના પાણીથી ઘેરાયેલું છે અને ટાપુ જેવું લાગે છે. હવે જ્યારે અતિશય વરસાદ પડે છે, ત્યારે એકબાજુથી બીજી બાજુ જવા માટે ગ્રામજનોએ કાં તો પાણીમાંથી પસાર થવાની અથવા તરવાની ફરજ પડે છે.
દેવેન્દ્ર કહે છે, “પૂર દરમિયાન અમારું ગામ ત્રણ દિવસ સુધી પાણી નીચે ડૂબી ગયું હતું. સરકારી હોડીઓએ બધા લોકોને બચાવી લીધા હતા, સિવાય કે 10-12 લોકોને જેમણે ત્યાં રહેવાનું પસંદ કર્યું હતું. બચાવી લેવાયેલા ગ્રામજનોએ કાં તો પડોશના બજારમાં ધામા નાખ્યા હતા અથવા અન્ય ગામોમાં તેમના સંબંધીઓ સાથે રહેવા ગયા હતા. દેવેન્દ્ર યાદ કરીને કહે છે કે પૂર દરમિયાન વીજ પુરવઠો પણ બંધ હતો અને તેને પુનઃસ્થાપિત કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.










