બાગાયત વૈજ્ઞાનિક શંકરન કહે છે કે કેરીના મહોર ખીલવા માટેનું આદર્શ તાપમાન 25−30 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેઓ ઉમેરે છે, “ફેબ્રુઆરી 2023માં, દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે નોંધપાત્ર તફાવત હતો. વૃક્ષો માટે આ સારી બાબત નથી.”
છેલ્લા કેટલાંક વર્ષોમાં કેરીની ખેતી માટેની પરિસ્થિતિઓ અનુકૂળ ન રહેવાથી, શ્રીરામમૂર્તિને 2014માં તેમણે લીધેલા નિર્ણય બદલ અફસોસ થવા લાગ્યો છે. તે વર્ષે, તેમણે અનકપલ્લી શહેરની નજીક 0.9 એકર જમીન વેચીને તેમાંથી છ લાખ રૂપિયા પોમુલા ભીમવરમમાં કેરીની એક વાડી ખરીદવા માટે પેટ્ટુબડી (રોકાણ) તરીકે આપ્યા હતા.
આવું કરવા પાછળનું કારણ સમજાવતા તેઓ કહે છે, “બધાને કેરીઓ ગમે છે, અને તેમની માંગ પણ છે. મને આશા હતી કે કદાચ કેરીની ખેતીથી [આખરે] મને પૂરતા પૈસા મળશે.”
જો કે, તેઓ કહે છે કે ત્યારથી તેઓ નફો કરી શક્યા નથી. શ્રીરામમૂર્તિ કહે છે, “2014 અને 2022ની વચ્ચેના આઠ વર્ષમાં મળીને કેરીની ખેતીમાંથી મારી કુલ આવક છ લાખ રૂપિયાથી વધારે નથી થઈ.” પોતાની જમીન વેચવાના નિર્ણય પર અફસોસ વ્યક્ત કરતાં તેઓ કહે છે, “મેં જે જમીન વેચી હતી તેની કિંમત હવે ઘણી વધારે છે. મેં કેરીની ખેતી કરવાનું શરૂ ન કર્યું હોત તો સારું હતું.”
ફક્ત ખરાબ હવામાન જ આના પાછળ જવાબદાર નથી. આંબાના વૃક્ષો સાગુ નીરુ (સિંચાઈ) પર પણ આધાર રાખે છે, અને નાગરાજુ કે શ્રીરામમૂર્તિ બેમાંથી એકેયની વાડીમાં પાણીના બોરવેલની સુવિધા નથી. 2018માં, શ્રીરામમૂર્તિએ બોરવેલ ખોદવા માટે 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ તેમાંથી પાણીનું એક ટીપું ય નહોતું નીકળ્યું. બુચ્ચિયાપેટા (જેને બુચ્ચયપેટા પણ કહેવાય છે) મંડળમાં, કે જ્યાં નાગરાજુ અને શ્રીરામમૂર્તિની વાડીઓ આવેલી છે, ત્યાં સત્તાવાર રીતે 35 બોરવેલ અને 30 ખુલ્લા કૂવા છે.
શ્રીરામમૂર્તિ કહે છે કે વૃક્ષોને પાણીનો સતત પુરવઠો આપવાથી મહોર સુકાઈ જવાની સમસ્યાને ઉકેલી શકાય છે. તેઓ અઠવાડિયામાં બે ટેન્કર પાણી પણ ખરીદે છે જેના માટે તેમણે મહિનામાં 10,000 રૂપિયા ખર્ચ થાય છે. શ્રીરામમૂર્તિ કહે છે, “દરેક ઝાડને દરરોજ ઓછામાં ઓછું એક લિટર પાણી જોઈએ છે. પરંતુ હું તેમને અઠવાડિયામાં માત્ર બે વાર જ પાણી આપું છું.”
પોતાના આંબાના ઝાડને પાણી આપવા માટે, નાગરાજુ અઠવાડિયામાં બે ટેન્કર ખરીદે છે, અને દરેક માટે 8,000 રૂપિયા ચૂકવે છે.