તેમના ઘર તરફ જતાં અમે એક ચાર રસ્તા પર પહોંચીએ છીએ. તેઓ કહે છે, "ખેડૂતો અને કામદારો એક જંક્શન પર આવીને ઊભા છે, અને સામ - દામ - દાંડ - ભેદ બધુંય અજમાવીને ચારે તરફથી તેમના પર હુમલા થઈ રહ્યા છે." ક્રિષ્ન કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્રમાં જણાવવામાં આવેલા શાસનના ચાર મુખ્ય સિદ્ધાંતો - ધીરજ, ભેટો અથવા પૈસા આપીને સમજાવટ, સજા અને ઘાતકી બળપ્રયોગ - નો ઉલ્લેખ કરે છે. ચાણક્ય તરીકે પણ ઓળખાતા કૌટિલ્ય, એક ભારતીય શિક્ષક, મુત્સદ્દીગીરીના પ્રણેતા અને શાહી સલાહકાર હતા, તેઓ ઈસવી સન પૂર્વેની ત્રીજી સદીમાં થઈ ગયા).
જોકે, ક્રિષ્ન આધુનિક ચાણક્યની વાત કરી રહ્યા છે!
2020 ના ઐતિહાસિક ખેડૂત વિરોધ-પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "દિલ્હીના દરવાજે થયેલા 700 થી વધુ ખેડૂતોના મૃત્યુની કોઈ જ જવાબદારી શાસક પક્ષ [ભાજપ] એ લીધી નથી." અને તેઓ ભાજપ દ્વારા પસાર કરવામાં આવેલા અને એક વર્ષ કરતાં વધુ સમય બાદ પાછા ખેંચી લેવામાં આવેલા, ખૂબ ટીકાપાત્ર બનેલા (ખેડૂત વિરોધી) કૃષિ કાયદા માટે ભાજપની નિંદા કરે છે.
“યાદ છે, કેવી રીતે ટેની [ભાજપના નેતાના દીકરા] એ લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડીને મારી નાખ્યા હતા? યે મારને મેં કંજૂસી નહીં કરતે. [હત્યાની વાત આવે ત્યારે તેઓ જરાય પાછી પાની કરતા નથી].” ઉત્તર પ્રદેશની 2021ની એ ઘટના તેમના મગજમાં કોતરાઈ ગઈ છે.
ભાજપે તેના પોતાના ધારાસભ્ય અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) ના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ, જેમની પર જાતીય સતામણીનો આરોપ છે, તેમની સામે કોઈ પગલાં લીધાં નથી એ હકીકત ક્રિષ્ન જેવા લોકો પચાવી શક્યા નથી. તેઓ કહે છે, “સાક્ષી મલિક અને ઘણા પ્રખ્યાત કુસ્તીબાજોએ ગયા વર્ષે નવી દિલ્હીમાં મહિનાઓ સુધી વિરોધ કર્યો હતો. તેઓ એક સગીર સહિત અનેક મહિલાઓની કથિત રીતે જાતીય સતામણી કરવા બદલ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા હતા.
2014 માં ભાજપે (પોતના ચૂંટણી ઢંઢેરામાં) મહિલાઓ સામેની હિંસા ઘટાડવાનું વચન આપ્યું હતું. ક્રિષ્ન પૂછે છે, "એ બધા વચનોનું શું થયું? એ લોકોએ સ્વિટ્ઝર્લેન્ડમાંથી કાળું નાણું પાછું લાવીને અમારા ખાતામાં 15 લાખ નાખવાનું વચન આપ્યું હતું. આખરે અમને મળ્યું શું? ભૂખ અને રાશન.”