તેઓ તેમનાં પત્ની સુલોચના અને તેમની દીકરીઓ, 18 વર્ષીય દિશા અને 15 વર્ષીય વૈષ્ણવી તરફ જોતાં, ગભરામણભર્યા સ્મિત સાથે યાદ કરે છે, “હું તે દિવસે જેટલો ઝડપથી દોડ્યો હતો તેટલો ઝડપથી મારી જિંદગીમાં ક્યારેય નથી દોડ્યો.” તેઓ પણ ગભરાટ સાથે હસી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે તે દિવસે અત્રામે મોતને હાથતાળી આપી હતી. તેઓ કહે છે કે ઘરે પહોંચ્યા પછી, તેમણે પોતાની જાતને તેમની એક ઓરડીવાળી ઝૂંપડીમાં પૂરી દીધી, જેની સાથે ઢોર રાખવા માટે એક નાની ઢંકાયેલી ઓસરી છે, અને આખી રાત બહાર ન નીકળ્યા. તેઓ કહે છે કે તેઓ ધ્રૂજી રહ્યા હતા.
તેઓ મરાઠીની વરાડી બોલીમાં કહે છે, “અજી લગીત મોટ્ઠા હોતા જી (તે ખૂબ મોટો વાઘ હતો).” તેમના અવાજમાં બહાદુરીનો દેખાડો નથી, પણ હળવી રમુજ જરૂર છે. શું તેઓ ડરી ગયા હતા? “મંગ કા જી! [તો બીજું શું!].” તેમની દીકરીઓ તેમને જોઈને હસી પડે છે.
વકરતો માનવ-વાઘ સંઘર્ષ
અત્રામનો વાઘ સાથેનો ભેટો મહારાષ્ટ્રના સુદૂર પૂર્વના પ્રદેશ, વિદર્ભના જંગલોમાં વધી રહેલા માનવ-વાઘ સંઘર્ષનો જ એક ભાગ છે.
બોરાટીના એક અનુભવી ખેડૂત, સિદ્ધાર્થ દુધે, જેઓ દૈનિકવેતન પર વન રક્ષક તરીકે પણ કામ કરે છે, તેઓ કહે છે કે આ એક તાજેતરની ઘટના છે. સંભવ છે કે આ વિસ્તારના વાઘ બોરાટી ગામથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા ટીપેશ્વર અભયારણ્ય જેવા નાના આરક્ષિત જંગલોમાંથી વિખેરાઈને અહીં આવ્યા હોય. તેઓ કહે છે, “ડર છે, ચિંતા છે, તણાવ છે.” (વાંચો: ટાઇગ્રેસ ટી1સ્ટ્રેલ ઓફ અટેકસ્ એન્ડ ટેરર)
યવતમાલ જિલ્લાના ઝાડી-ઝાંખરા અને પાનખર જંગલોની વચ્ચે ગીચ વસ્તીવાળા ગામો આવેલા છે. વન રક્ષક મેશ્રામ, અત્રામના ઘરે અમને કહે છે કે ભટકતી નવી વાઘોની વસ્તી શાકાહારી પ્રાણીઓ અને ગામના ઢોરનો શિકાર કરે છે, જે તેમના માટે સહેલો શિકાર છે. તેઓ કહે છે, “અત્યારે તો ટી1 અમારા ગામની આસપાસ દેખાતી નથી. પણ અમે ચોકી કરીએ છીએ અને જ્યારે પણ તેના સ્થાન વિશે જાણ થાય ત્યારે ગ્રામજનોને સાવચેત કરી દઈએ છીએ.”
મહારાષ્ટ્રના મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ), અશોક કુમાર મિશ્રા કહે છે કે આ સંઘર્ષના મૂળમાં બે પ્રક્રિયાઓ છે: “એક તરફ, તાજેતરના સંરક્ષણ પ્રયાસો, જેમાં સંગઠિત ગેરકાયદેસર શિકાર પર કડક નજર રાખવાનો સમાવેશ થાય છે, તેના કારણે વાઘની વસ્તી વધી રહી છે. બીજી તરફ, માનવસર્જિત દબાણો ખૂબ જ વધારે છે, જેમાં જંગલો પર વધતી નિર્ભરતા અને વધતી માનવ વસ્તીનો સમાવેશ થાય છે.”
આ ઉપરાંત, રસ્તાઓ અને હાઈવે સહિત વિવિધ પ્રોજેક્ટ્સને કારણે વિદર્ભના જંગલો વધુને વધુ વિભાજીત થઈ રહ્યાં છે. મિશ્રા કહે છે કે વાઘનાં રહેઠાણો સંકોચાઈ ગયા છે અથવા વિભાજીત થઈ ગયાં છે, પ્રાણીઓના પરંપરાગત માર્ગો તૂટી ગયા છે, જેના કારણે તેમની પાસે ભટકવા માટે કોઈ જગ્યા બચી નથી. મિશ્રા આશ્ચર્ય વ્યક્ત કરે છે, સંઘર્ષ સિવાય તમે બીજી શું અપેક્ષા રાખી શકો? “જો અમે તેને કાબૂમાં લેવાના પ્રયાસો ન કર્યા હોત તો આ સંઘર્ષ વધુ તીવ્ર હોત.”