જેમ જેમ લીલાછમ ઘઉંના ખેતરો સોનેરી થતા જાય છે, તેમ તેમ દલબારા સિંહની ચિંતાઓ પણ વધતી જાય છે. ટૂંક સમયમાં લણણીનો સમય આવશે. ટૂંક સમયમાં ડીઝલ માત્ર ઇંધણ નહીં પરંતુ જીવનરેખા બની જશે. એટલા માટે બરનાલા જિલ્લાના પટ્ટી ગામના આ ભૂમિહીન દલિત ખેડૂત પોતાના ડીઝલના ડ્રમ ભરેલા રહે તે માટે જરા પણ ખચકાટ વિના વાર્ષિક 18 ટકાના વ્યાજ દરે પૈસા ઉધાર લે છે.
55 વર્ષના દલબારા સિંહ, તેમના ત્રણ ભાઈઓ સાથે, એક એનઆરઆઈ પાસેથી ગણોતપટે લીધેલી 20 એકર જમીન ખેડે છે. અને લણણીની મોસમ દરમિયાન પશુપાલકો માટે ઘઉંના પરાળ કાપવા માટે 'કસ્ટમ હાર્વેસ્ટર' તરીકે બીજાઓની જમીન પર પણ કામ કરે છે. તેઓ પોતાના ટ્રેક્ટર અને રીપર (લણણી કરનાર યંત્ર) તરફ ઈશારો કરે છે. "આ ગઝલર્સ છે. જો તેમને સંપૂર્ણ ક્ષમતા પર ચલાવવામાં આવે તો ડીઝલનું આ ડ્રમ ફક્ત બે દિવસ ચાલશે."
પણ આટલા ઊંચા દરે પૈસા ઉધાર લેવાના? તેઓ કહે છે, “મારી પાસે બીજો કોઈ રસ્તો હતો? એક અઠવાડિયા પછી મને ડીઝલ ન મળે તો શું? મારો તો બધો પાક સડી જાય. મેં એને મારા બાળકની જેમ ઉછેર્યો છે." એક વર્ષથી વધુ સમયથી કોઈ આવક જ ન થઈ હોય ત્યારે દલબારાની આવકની ગણતરી કરવી મુશ્કેલ જણાય છે. તેમના નુકસાન અને ઉધારી સતત વધી રહ્યા છે
પંજાબના ખેડૂતો માટે ઈરાન વિરુદ્ધ યુએસ-ઈઝરાયેલ યુદ્ધનો અર્થ છે વધારે દેવું. પરંતુ દલબારા સિંહ અને તેમના જેવા ઘણા, જેમના બાળકો ખાડી દેશોમાં શ્રમિકો અને અર્ધકુશળ કામદારો તરીકે કામ કરે છે તેમને માટે આ એક વધુ મોટી કટોકટી છે. યુદ્ધ તેમના ભવિષ્યને પણ જોખમમાં મૂકે છે. ગયા મહિને જ તેમણે તેમના દીકરાને સાયપ્રસ મોકલવા માટે 4 લાખ રૂપિયા ઉધાર લીધા હતા, સાયપ્રસ એ પશ્ચિમ એશિયાઈ દેશ (જોકે ભૂ-રાજકીય રીતે યુરોપનો ભાગ માનવામાં આવે છે) છે અને પ્રવાસન અને વહાણવટા પર નિર્ભર છે. હાલમાં ચાલી રહેલા યુદ્ધે એ બંને ક્ષેત્રોને અસર પહોંચાડી છે. તેઓ કહે છે, "પરંતુ મારો દીકરો ખુશ નથી કારણ કે તેને કામ મળ્યું નથી. તેથી હવે એ બેચેન છે, એ પાછો ફરવા માંગે છે." દલબારા નિર્દોષપણે પોતાના નસીબને દોષ દે છે અને અમારી આખી વાતચીતમાં એક પણ વાર યુદ્ધનો ઉલ્લેખ કરતા નથી.
ઘઉંની લણણીની મોસમ નજીક આવી રહી હોવાથી અને યુદ્ધને કારણે અનિશ્ચિતતા સર્જાઈ હોવાથી ઘણા ખેડૂતોએ એક પખવાડિયા પહેલા જ ડીઝલ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. ભરણ સ્ટેશનો (પેટ્રોલ/ડીઝલ પંપો) પર તમે ડીઝલના ખાલી ડ્રમ સાથેના ટ્રેક્ટરોની લાંબી લાઇનો જોઈ શકો છો. પટિયાલા જિલ્લામાં ભારતી કિસાન યુનિયન (ડાકૌંડા) ના નેતા રઘબીર સિંહ ડકાલા કહે છે, "એ બધા ઊંચા વ્યાજ દરે પૈસા ઉછીના લઈ રહ્યા છે."




