એજાઝ, ઈમરાન, યાસિર અને શમીમાની ઉંમર માંડ 10 વર્ષની જ છે અને તેમ છતાં તેમણે ઘણા વર્ષોનો અભ્યાસ ગુમાવી દીધો છે. દર વર્ષે, જ્યારે તેઓ તેમના માતાપિતા સાથે સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ ચાર મહિના સુધી વર્ગો ચૂકી જાય છે, અને નિર્ણાયક પ્રાથમિક શિક્ષણ એટલે કે મૂળભૂત ગણિત, વિજ્ઞાન અને સામાજિક અભ્યાસના પાઠ, શબ્દભંડોળ અને લેખન કૌશલ્યમાં પાછળ રહી જાય છે.
બાળકો 10 વર્ષનાં થાય ત્યાં સુધીમાં, તેઓ વર્ગખંડની બહાર એટલો સમય રહેશે કે તે સમયનો સરવાળો કરવામાં આવે તો એક આખું વર્ષ થઈ જાય. સૌથી મહેનતું વિદ્યાર્થીઓ માટે પણ તે એક ખૂબ મોટું નુકસાન છે, જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે.
પણ હવે આવું નહીં થાય. જ્યારે તેઓ શાળાથી દૂરના વિસ્તારોમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેમની સાથે ખંતીલા પ્રવાસી શિક્ષક અલી મોહમ્મદ પણ પ્રવાસ કરે છે. આ ત્રીજું વર્ષ છે, કે જ્યારે 25 વર્ષીય અલી કાશ્મીરની લિદ્દર ઘાટીમાં એક ગુર્જર વસાહત એવી ખલાનમાં પર્વતો પર આવ્યા છે, અને ઉનાળાના આગામી ચાર મહિના (જૂનથી સપ્ટેમ્બર) માટે તેઓ અહીં ગુજ્જર પરિવારોનાં નાનાં બાળકોને ભણાવશે, કે જેઓ ઉનાળાના ચરાઈના મેદાનોની શોધમાં તેમના પ્રાણીઓ સાથે અહીં સ્થળાંતર કરીને આવ્યાં છે.
તેમની સામે ખુલ્લી પડેલી સરકારી વર્કબુકમાં વ્યસ્ત થતા પહેલાં શરમાળ શમીના કહે છે, “હું વિચારું છું કે હું શિક્ષક બનીશ.” અલી કેટલીકવાર બાળકોને તાત્કાલિક જરૂરી હોય તેવો ભણતરનો સામાન પૂરો પાડવા માટે પોતાના ભંડોળનો ઉપયોગ કરે છે.












