અરુણ જાધવનો વાડો ફક્ત એક ગાય અને એક ભેંસ માટે ઘણો મોટો લાગે છે. તબેલામાં એક થાંભલા સાથે બાંધેલાં એ પશુઓ એકલવાયાં દેખાય છે. અરુણભાઈ કહે છે, “મારી પાસે આની પાછળ બીજો એક વાડો છે. મારી પાસે જેટલા વાડા છે, તેટલાં જ પશુઓ છે. ટૂંક સમયમાં કદાચ મારી પાસે પશુઓ કરતાં વાડા વધારે હશે.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તેમના ગામ અલસુંદમાં શેરડીની ખેતી કરતા 39 વર્ષીય અરુણભાઈ પાસે એક સમયે સાત ગાયો અને ચાર ભેંસો હતી. તેઓ કહે છે, “છેલ્લાં 15 વર્ષોમાં મારે એક પછી એક બધાંને વેચવાં પડ્યાં. મારી પાસે 10 એકર શેરડીનાં ખેતરો છે. દૂધ ઉત્પાદન પહેલાં એક સારો એવો વધારાનો વ્યવસાય હતો, પણ હવે તે મારા ગળાનો ફાંસો બની ગયો છે.”
સાંગલી પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલું છે, જે ડેરી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, અને રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં 42 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અહીં લગભગ દરેક ખેડૂત ગાય અને ભેંસ પાળે છે. અરુણભાઈ જેવા ખેડૂતો માટે દૂધ આવકનો એક વધારાનો સ્ત્રોત છે. બીજાઓ માટે તે આજીવિકાનું મુખ્ય સાધન છે. પરંતુ હવે ડેરી ખેડૂતો પોતાનો વ્યવસાય સંકેલી રહ્યા છે - તેઓ કહે છે કે હવે આમાં કોઈ કમાણી રહી નથી.
લગભગ એક દાયકાથી, પશ્ચિમ મહારાષ્ટ્રમાં દૂધના ભાવમાં થતી વધઘટ સામે ડેરી ખેડૂતો દ્વારા વારંવાર આંદોલનો જોવા મળ્યાં છે. તેમણે વિરોધ દર્શાવવા માટે દૂધ ઢોળ્યું છે, બગાડ્યું છે અને મફતમાં વહેંચી દીધું છે. આવાં ઘણાં પ્રદર્શનોનું નેતૃત્વ કરનાર અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ અજિત નવલે કહે છે કે જ્યારે મોટાભાગનું દૂધ સહકારી મંડળીઓ અને રાજ્ય દ્વારા ખરીદવામાં આવતું હતું, ત્યારે દૂધના ભાવ પ્રમાણમાં સ્થિર હતા. તેઓ કહે છે: “જ્યારથી ખાનગી કંપનીઓ બજારમાં આવી છે, ત્યારથી સરકારની ભૂમિકા ઓછી અને ઓછી અસરકારક બની ગઈ છે. ભાવો તેમની મરજી મુજબ વધે અને ઘટે છે.”
નવલે, કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર 2020માં રજૂ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓનો ઉલ્લેખ કરતાં ઉમેરે છે, “ખાનગી કંપનીઓએ ભાવોને નિયંત્રિત કરીને નફો કમાવ્યો છે. અમે કૃષિ કાયદાઓ વિશે પણ આ જ કહી રહ્યા હતા.” છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનોને કારણે 29 નવેમ્બર, 2021ના રોજ સંસદમાં આ કાયદાઓ રદ કરવામાં આવ્યા.










