પ્રસન્નના લગ્ન જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારે થયા હતા. તેમને બે દીકરા છે – મોટા દીકરા જીતુએ 23 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને તેમને પોતાનો એક દીકરો છે. પરિવારે બાળકના 21મા દિવસના પ્રસંગ પર રૂ. 15,000 ખર્ચ્યા – તે તેમનો પહેલો પૌત્ર હતો. જ્યારે અમે પૂછ્યું કે શું તમે તેને ભણાવવા માંગો છો. તેઓ આકાશ તરફ હાથ ઊંચા કરીને કહે છે, “જરૂર, જો ભગવાન મને જીવાડશે, તો હું તેને જરૂર ભણાવીશ.”
પ્રસન્ન પોતે માત્ર ધોરણ 5 સુધી જ ભણ્યા હતા. પછી તેમનાં માતાપિતાએ તેમને તેમની નાની જમીનના ટુકડા પર કામ કરવા માટે મૂકી દીધા. 1965માં, જે વર્ષે પ્રસન્નનો જન્મ થયો હતો, તે વર્ષે કાલાહાંડીમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેના પછી દર બીજા વર્ષે દુષ્કાળ પડતો હતો. જ્યારે તેઓ માત્ર થોડા અઠવાડિયાના હતા, ત્યારે પ્રસન્નના માતાપિતા તેમને તાત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળવા માટે સાથે લઈ ગયા હતા, જેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા ખરિયાર આવ્યા હતા. તેઓ કહે છે કે તે દુષ્કાળમાં હજારો લોકો ભૂખ અને રોગથી મૃત્યુ પામ્યા હતા.
પ્રસન્નના દીકરાઓ પણ ખાસ ભણેલા નથી. જીતુ તેની ધોરણ 10ની પરીક્ષા પાસ ના કરી શક્યો, અને નાનો રબી માત્ર ધોરણ 7 સુધી જ ભણ્યો હતો. બંને મુંબઈમાં બાંધકામ સાઇટ પર મજૂરી કરે છે. ગામના છોકરાઓ કામ માટે ટોળીમાં શહેરોમાં જાય છે. તેઓ બાંધકામ સાઇટ પર રહે છે અને તેમને લગભગ રૂ. 300 રોજની મજૂરી મળે છે. ઘણા લોકો ઓવરટાઇમ કરીને વધારે કમાય છે. તેઓ 3-6 મહિના પછી સારી એવી રકમ લઈને ઘરે પાછા આવે છે, પરિવાર સાથે થોડો સમય વિતાવે છે અથવા ખેતરમાં કામ કરે છે, અને ફરીથી જાય છે. આમ ચાલ્યા કરે છે.
પ્રસન્ન કહે છે, “પાક લણ્યા પછી, અડધું ગામ આંધ્રપ્રદેશમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરવા જતું હતું. મજૂર કોન્ટ્રાક્ટરો રૂ. 20,000 આપે છે અને આખા પરિવારને તેમની સાથે કામ કરવા લઈ જાય છે. મેં આ વિકલ્પ ક્યારેય પસંદ કર્યો નથી કારણ કે જો હું મુંબઈમાં બાંધકામ મજૂર તરીકે ત્રણ મહિના કામ કરું તો હું મારા પરિવાર માટે રૂ. 30,000 કમાઈ શકું છું, હું મારા સમગ્ર પરિવારને આવું મુશ્કેલ જીવન જીવવાનું માટે શા માટે પસંદ કરું?”
ભઠ્ઠાના કોન્ટ્રાક્ટરો એક પથરિયાના રૂ. 20,000-30,000 એડવાન્સમાં આપે છે. પથરિયા એટલે એક જ ઈંટના ભઠ્ઠામાં કામ કરતા ત્રણ લોકોનું ગ્રુપ. સ્થાનિક સરદારો અથવા એજન્ટો સ્થળાંતરિતોને મજૂર કોન્ટ્રાક્ટરોને આપે છે, જેઓ તેમને ભઠ્ઠાના માલિકોને આપે છે. તેઓ ભઠ્ઠામાં લગભગ છ મહિના રહે છે અને મે અને જૂનના મહિનામાં વરસાદ પહેલાં તેમના ગામોમાં પાછા ફરે છે.
મુસાફરી, ખરાબ રહેણીકરણી અને મહેનતને કારણે ઘણીવાર તબિયત બગડે છે. ઘણા મજૂરોને ટીબી થઈ જાય છે. પણ એડવાન્સમાં મળતા પૈસા તેમને લલચાવે છે. પરિવારમાં લગ્નનો ખર્ચ, આરોગ્યની સારવાર, ઘર બનાવવું, બળદ ખરીદવા કે લોન ભરવા જેવી મોટી આર્થિક જરૂરિયાતો પૂરી કરવાનો બીજો કોઈ રસ્તો નથી.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના સ્થળાંતરને અસરકારક રીતે રોકવામાં સફળ થઈ નથી. ચુકવણી અનિયમિત છે અને નિયમિત કામની કોઈ ખાતરી નથી. માત્ર જે લોકો પગાર માટે રાહ જોવાનું પરવડી શકે છે તેઓ જ ખેતરોમાં અથવા મનરેગા સાઇટ પર કામ કરવા માટે ગામમાં રહે છે.
પ્રસન્નના પરિવારે ગયા વર્ષે તેમના નાના દીકરા રબીના લગ્ન પર લગભગ રૂ. 100,000 ખર્ચ્યા હતા. પિતા અને દીકરાઓએ તેમની કમાણી ભેગી કરી અને સગાંઓ પાસેથી લૉન પણ લીધી. તેમણે માંસાહારી જમણવાર રાખ્યો હતો, અને આખી ઘટનાનું વીડિયો બનાવવા માટે એક વીડિયોગ્રાફરને પણ રાખ્યો. પ્રસન્ન ગર્વથી કહે છે, “અમારી પાસે લગ્નની બે ડીવીડી છે.”
તમારી પાસે બીપીએલ (ગરીબી રેખા નીચે જીવતા લોકો માટેનું) કાર્ડ છે? પ્રસન્ન જવાબ આપે છે, “હા, મારી પાસે બીપીએલ કાર્ડ છે અને મારા પિતા પાસે પણ છે.” જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળ પરિવારને દરેક કાર્ડ પર એક રૂપિયા પ્રતિ કિલોના દરે 25 કિલો ચોખા મળે છે. એટલે કે રૂ. 50માં 50 કિલો ચોખા અને દર મહિને રૂ. 70માં ચાર લિટર કેરોસીન મળે છે.
પ્રસન્નના જેવા પરિવારો માટે સબસિડીવાળા ચોખા ખૂબ જ મદદરૂપ છે – તે ભૂખમરાને દૂર રાખે છે. પહેલાં, લોકો થોડા અનાજ માટે કોઈપણ પ્રકારનું કામ કરતા હતા. પીડીએસે તેમને થોડી સારી શરતો માટે સોદો કરવાની તક આપી છે, અને પરિણામે વેતનના દરમાં સુધારો થયો છે. સબસિડી પરિવારોને ખોરાક સિવાય, આરોગ્ય અને શિક્ષણ વિષે વિચારવા માટે મદદ કરે છે.
પ્રસન્નના પિતાને પેન્શન પણ મળે છે – 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને રૂ. 300 અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને રૂ. 500. પીડીએસ અને ઘરડાં અથવા વિધવા પેન્શન વડીલોને પરિવારના મદદરૂપ સભ્યો બનાવે છે, જે તેમને નવું માન આપે છે.
જો કે કલ્યાણ યોજનાઓએ અહીંના ઘણા સમુદાયોને થોડી સલામતી આપી છે, તેમ છતાં તેઓએ આ ગામોમાંથી સ્થળાંતર અટકાવ્યું નથી. તેથી પ્રસન્ન અને બીજા લોકો હજુ પણ કામની શોધમાં શહેરોમાં જાય છે.
અનુવાદક: કનીઝફાતેમા