ઉત્તર છત્તીસગઢના કોરબા અને સુરગુજા જિલ્લામાં પથરાયેલા હસદેવ અરંડનાં જંગલો મધ્ય ભારતના શ્રેષ્ઠ અને એકબીજાને અડીને આવેલા વનવિસ્તારોમાંનાં એક છે. આ જંગલો બારમાસી જળ સ્ત્રોતો, દુર્લભ વનસ્પતિઓ તેમજ હાથી અને દીપડા જેવી વન્યજીવ પ્રજાતિઓનું ઘર છે.
પરંતુ આ સમૃદ્ધ જીવસૃષ્ટિ પર તેના ગર્ભમાં છુપાયેલા વિશાળ કોલસાના ભંડારને કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. કોલસા મંત્રાલય દ્વારા નકશાંકિત કરાયેલા હસદેવ અરંડ કોલફિલ્ડમાં 1878 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક અબજ મેટ્રિક ટનથી વધુનો પ્રમાણિત કોલસાનો ભંડાર આવેલો છે. જેમાંથી 1502 ચોરસ કિલોમીટર તો ગાઢ જંગલ વિસ્તાર છે.
આ ખતરો છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં ઝડપી પગલાંને કારણે વધુ ઘેરો બન્યો છે. આ પગલાં કોર્પોરેશનો દ્વારા કોલસાના ખનન અને વ્યક્તિઓ તેમજ સમુદાયો પાસેથી ગ્રામીણ જમીન સંપાદનને વેગ આપવા માટે લેવાયાં છે.
જ્યારે સરકારનું વિવાદાસ્પદ કોલસા ખનન બિલ રાજ્યસભામાં પસાર ન થઈ શક્યું, ત્યારે 24 ડિસેમ્બર 2014ના રોજ સરકારે 90થી વધુ કોલસા બ્લોક (કે ખાણો)માં જમીનો અને જંગલોની હરાજી કરવા તથા કોલસાના વાણિજ્યિક ખનનને મંજૂરી આપવા માટે ફરીથી એક વટહુકમ બહાર પાડ્યો.
29 ડિસેમ્બર 2014ના રોજ, સરકારે વધુ એક વટહુકમ બહાર પાડ્યો, જે ‘ન્યાયપૂર્ણ વળતર અને જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપનમાં પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, 2013’ની જાહેર સુનાવણી, સંમતિ અને સામાજિક અસર મૂલ્યાંકન જેવી જોગવાઈઓને નબળી પાડે છે. આ ફેરફાર વીજળી પરિયોજનાઓ સહિત જમીન સંપાદન કરવા માગતા અનેક પ્રોજેક્ટ્સને લાગુ પડે છે.
સમાચાર અહેવાલો અને સરકારી દસ્તાવેજો સૂચવે છે કે સરકાર સંસાધનોથી ભરપૂર જમીનો કોર્પોરેશનોને સોંપવા માટે જંગલ વિસ્તારોમાં ખાણકામનું નિયમન કરતા પર્યાવરણીય અને આદિવાસી અધિકારોના રક્ષણને પણ નબળું પાડવા વિચારી રહી છે.
હસદેવ અરંડમાં, મુખ્યત્વે ગોંડ સમુદાયનાં આદિવાસી ગ્રામજનો આ પગલાં પર ચર્ચા કરી રહ્યા છે, જે તેમના જીવન પર ઊંડી અસર પાડશે.
ડિસેમ્બરના મધ્યમાં, 16 ગામોમાં સ્થાનિક રહેવાસીઓએ ગ્રામસભાઓ યોજી અને ઠરાવો પસાર કરીને સરકારને આ જંગલો અને તેમની જમીનો ખાણકામ કોર્પોરેશનોને હરાજીમાં ન આપવા વિનંતી કરી.
તેમણે સરકારને પેસા અને વન અધિકાર અધિનિયમ લાગુ કરવાની પણ માંગ કરી. આ બંને કાયદા સ્થાનિક આદિવાસી અને વનવાસી સમુદાયોના અધિકારોને માન્યતા આપે છે, અને કુદરતી સંસાધનો સંબંધિત નિર્ણય પ્રક્રિયામાં તેમની ભાગીદારીને અનિવાર્ય બનાવે છે, જેમાં જંગલોના વિનાશના પ્રસ્તાવો માટે તેમની સંમતિનો પણ સમાવેશ થાય છે.















