આને ત્રેવડવાળી નવીન વસ્તુનું ઉદાહરણ કહેવું સહજ લાગે છે, પરંતુ 65 વર્ષીય નારાયણ દેસાઈ તેને પોતાની કળાનું ‘મૃત્યુ’ ગણાવે છે. આ ‘નવીન વસ્તુ’ તેમની શરણાઈની રચના અને ઘટકોમાં ફેરફાર કરીને બનાવેલી છે, જે બજારની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને તેમને વિકસાવવાની ફરજ પડી હતી અને તેમની કળાના અસ્તિત્વ માટે ચોક્કસ ખતરો હતો.
શરણાઈ એક સુષિર વાદ્યછે, જે લગ્ન, તહેવારો અને સ્થાનિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે.
બે વર્ષ પહેલાં સુધી, દેસાઈએ બનાવેલી દરેક શરણાઈના આગળના છેડે (પિત્તળી) પિત્તળની એક ઘંટડી રહેતી હતી. પરંપરાગત, હાથથી બનાવેલી શરણાઈમાં, મરાઠીમાં વાટી તરીકે ઓળખાતી આ છૂટી ઘંટડી, સંગીતના વાદ્યના લાકડાના ભાગમાંથી નીકળતા સૂરની ગુણવત્તામાં વધારો કરે છે. 1970ના દાયકામાં તેમની કારકિર્દીની ટોચ પર, નારાયણ કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચીકોડી શહેરમાંથી મેળવેલી એક ડઝનથી વધુ પિત્તળની ઘંટડીઓનો જથ્થો રાખતા હતા.
જો કે, તાજેતરના વર્ષોમાં, આ બે પરિબળોએ તેમને અડધી સદી કરતાં વધુ સમયથી કારગર નીવડેલી તેમની તકનીકમાં ફેરફાર કરવા માટે મજબૂર કર્યા છેઃ પિત્તળની ઘંટડીઓની વધતી કિંમતો અને ગ્રાહકો તરફથી સારી શરણાઈ બનાવવા માટે જરૂરી કિંમત ચૂકવવાની વધતી અનિચ્છા.
તેઓ કહે છે, “લોકો મારી પાસેથી 300-400 રૂપિયામાં શરણાઈ માંગવા લાગ્યા છે.” આ માંગ સંતોષવી અશક્ય છે, કારણ કે એકલી પિત્તળની ઘંટડીની જ કિંમત આશરે 500 રૂપિયા હોય છે. ઘણા સંભવિત ઓર્ડર ગુમાવ્યા પછી, નારાયણે આખરે એક ઉકેલ શોધી કાઢ્યો. “મેં ગામના મેળામાંથી પ્લાસ્ટિકનાં રણશિંગાં ખરીદ્યા, તેમના લાંબા છેડા કાપી નાખ્યા અને પિત્તળની ઘંટડીની જગ્યાએ શરણાઈમાં આ ઘંટ આકારના પ્લાસ્ટિકના ભાગો લગાવી દીધા.”
તેઓ દુઃખી છે, “આનાથી અવાજની ગુણવત્તા ઘટે છે, પરંતુ લોકોને તેનાથી કોઈ ફેર પડતો નથી.” વધુ સમજદાર ખરીદનારને, તેઓ હજું પણ તેમની વાટી વાળી શરણાઈનો વિકલ્પ પૂરો પાડે છે. પ્લાસ્ટિકથી બનેલી આ શરણાઈ તેમને ફક્ત 10 રૂપિયામાં પડે છે, પણ આમાં તેમની કળા સાથે સમાધાન કરવા બદલ તેમના અંતઃકરણ પર જે બોજ પડે છે તેની ગણતરી કરવામાં નથી આવતી.

























