જ્યારે મને તેમનો પરિચય કરાવવામાં આવ્યો, ત્યારે મારો પહેલો વિચાર એ હતો કે તેમનું નામ જ ખોટું છે. લોકો તેમને લડાઇતી દેવી કહે છે (જેનો અર્થ થાય છે કોઈ એવી વ્યક્તિ જે ઝઘડાળુ હોય), પરંતુ મને તો, પહેલી જ નજરે તેઓ એક આત્મવિશ્વાસથી ભરપૂર યોદ્ધા લાગ્યાં – જેમને પોતાની શક્તિઓ પર ભરોસો છે – પણ વધુ મહત્ત્વની વાત એ કે, તેઓ પોતાની નબળાઈઓ વિશે પણ જાણે છે અને તેને સ્વીકારે છે.
તેઓ મને ખુરશી પર બેસવાનું કહે છે. હું તેમને કહું છું કે વાતચીત કરવા માટે આપણે બરાબરીના ધોરણે બેસવું જોઈએ. તેઓ મારી વાત માની જાય છે અને પોતાના માટે બીજી ખુરશી ખેંચી લાવે છે. અમે તેમના બે રૂમના ઘરની ઓસરીમાં બેઠા છીએ.
હું ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના સિતારગંજ બ્લોકમાં આવેલા સલમાતા ગામમાં છું. આ માત્ર 112 પરિવારોનું ગામ છે, જેમાં મોટાભાગે થારુ આદિવાસીઓ વસે છે – જે રાજ્યની સૌથી મોટી જનજાતિ છે – અને એક દંતકથા મુજબ, તેઓ પોતાનો વંશ રાજપૂત રાજવીઓ સાથે જોડે છે. થારુ સમુદાયનાં લડાઇતીનો મને એ રીતે પરિચય આપવામાં આવ્યો છે કે સ્થાનિક સ્ત્રીઓ તેમને ખૂબ માન આપે છે. હું તેમની કહાણી જાણવા આતુર છું.
તેઓ પોતાના જીવનને 2002ના વર્ષ સાથે જોડીને વાત શરૂ કરે છે. “હું શું હતી – બસ એક સામાન્ય સ્ત્રી? પછી કેટલાક લોકો આવ્યા અને અમને કહ્યું કે અમે એક જૂથ બનાવી શકીએ છીએ – જેનાથી અમને શક્તિ મળશે. અને અમે પૈસાની બચત કરી શકીશું.”






