મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં 40 કુકી-ઝો આદિવાસી પરિવારોની વસ્તી ધરાવતા નાહમુન ગુનફાઇજાંગ નામના નાના ગામમાં બે માણસો ગાઢ ઝાડીઓમાંથી પસાર થઈને તેમનાં ખેતરો તરફ આગળ વધી રહ્યા છે. 2023માં સપ્ટેમ્બરના આ દિવસે આકાશ વાદળછાયું છે, અને તેની આસપાસ જંગલી ઝાડવાઓથી ઢંકાયેલી ટેકરી છે.
જો કે, થોડા વર્ષો પહેલાં, આ ટેકરીઓ ખસખસના છોડ (પાપાવર સોમ્નિફેરમ) ના આકર્ષક સફેદ, ફીકા જાંબુડિયા અને ગુલાબી ફૂલોથી ઢંકાયેલી હતી.
ખસખસનો ત્યાગ કરનારા સૌપ્રથમ ખેડૂતો પૈકીના એક એવા પાઉલાલ કહે છે, “હું 1990ના દાયકાની શરૂઆતમાં ગાંજો (કેનાબીસ સટિવા) ઉગાડતો હતો, પરંતુ તે સમયે, તેમાંથી વધુ પૈસા મળતા ન હતા. 2000ના દાયકાની શરૂઆતમાં, લોકોએ આ ટેકરીઓમાં કાણી (ખસખસ) ની ખેતી શરૂ કરી હતી. મેં પણ તેને વાવી હતી. પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે મેં તેને વાવવાનું બંધ કરી દીધું.”
પાઉલાલ 2020ના શિયાળાનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યારે નાહમુન ગુનફાઇજાંગ ગામના વડા એસ.ટી. થાંગબોઈ કિપગેને ગામમાં ખસખસનાં ખેતરોને નાબૂદ કરવાની હાકલ કરી હતી અને ખેડૂતોને તેની ખેતી સંપૂર્ણપણે બંધ કરવા વિનંતી કરી હતી. તેમનો નિર્ણય શૂન્યવકાશમાં નહોતો લેવાયો, પરંતુ તે રાજ્યની ભાજપ સરકારના આક્રમક ‘ડ્રગ્સ સામેના યુદ્ધ’ અભિયાનના સમર્થનમાં લેવામાં આવ્યો હતો.
જેમાંથી અત્યંત વ્યસનકારક માદક અફીણ બનાવવામાં આવે છે તેવા ખસખસની ખેતી મુખ્યત્વે મણિપુરના પહાડી જિલ્લાઓ જેમ કે ચુરાચંદપુર, ઉખરુલ, કામજોંગ, સેનાપતિ, તમેંગલોંગ, ચાંદેલ, તેંગનૌપલ તેમજ કાંગપોક્પીમાં થાય છે; અહીં રહેતા મોટાભાગના લોકો કુકી-ઝો આદિજાતિના છે.
પાંચ વર્ષ પહેલાં, નવેમ્બર 2018માં, મુખ્યમંત્રી બીરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ રાજ્ય સરકારે ડ્રગ્સ સામે યુદ્ધ માંડ્યું હતું. બીરેન સિંહે પર્વતીય જિલ્લાઓમાં ગામના વડાઓ અને ચર્ચોને તે વિસ્તારોમાં ખસખસની ખેતી બંધ કરવાની અપીલ કરી હતી.









