ઓખી ચક્રવાત આવ્યાના અઠવાડિયાઓ પછી પણ, એલેલ જ્હોન પોલ દ્વિતીય શેરી પર આવેલા તેમના ઘરના ઓટલા પર ઊભા હતા. બે વર્ષનું આ બાળક ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિને જોઈને સ્મિત કરતું, અને ઘર તરફ આવતા કાચા રસ્તા પર વારંવાર જોતું રહેતું, એ આશામાં કે તે રસ્તેથી આવનાર કોઈ પુરુષ કદાચ તેના પિતા યેસુદાસ હશે.
તે શેરીના કેટલાક ઘરોને તારા અને ઝગમગતી લાઇટોથી શણગારવામાં આવ્યા હતા. પરંતુ અજિકુટ્ટન (જેમને તેમનો પરિવાર પ્રેમથી એલેલ કહે છે) અંધારામાં ઊભા હતા. તેમનાં 33 વર્ષીય ગૃહિણી માતા અજીતા ઘરની અંદર રડતાં હતાં; તેઓ ઘણા દિવસોથી પથારીમાં હતાં. અવારનવાર, અજિકુટ્ટન તેમને આલિંગન આપતા અને પછી ઓટલામાં પાછા ફરતા.
આ ઘટના 2017ના નાતાલના થોડા સમય પહેલાં જ બની હતી. નાના બાળકનાં માતાએ તેને ખાતરી આપી હતી કે નાતાલના દિવસે યેસુદાસ નવાં કપડાં અને કેક લઈને આવશે. પરંતુ એલેલના પિતા પાછા ન ફર્યા.
38 વર્ષીય યેસુદાસ શિમાયોન, કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના નેય્યટ્ટિનકરા તાલુકાના કરોડે ગામમાં તેમના ત્રણ ઓરડાના મકાનમાંથી 30 નવેમ્બરના રોજ ચક્રવાત ત્રાટક્યું તે વખતે દરિયો ખેડવા નીકળેલા માછીમારોમાંના એક હતા. તેઓ 29 નવેમ્બરની સાંજે ચાર સાથી કામદારો સાથે દરિયો ખેડવા ગયા હતા. તેમના સાથીઓ પૈકી એક તેમના પાડોશી 28 વર્ષીય એલેક્ઝાન્ડર પોડિથંપી હતા, અને બાકીના ત્રણ તમિલનાડુના હતા. એલેક્ઝાન્ડર અને તેમનાં 21 વર્ષીય પત્ની જાસ્મિન જ્હોનને 10 મહિનાની બાળકી છે, જેનું નામ અશ્મી એલેક્સ છે.






