ક્રૂઝ બોટ સજનેખાલી ટાઇગર રિઝર્વ, પીરખાલી અને દોબંકી ટાઇગર રિઝર્વમાંથી પસાર થાય છે ત્યારે પસાર થઈ રહેલા રમણીય ભૂ-પ્રદેશ તરફ માથું ઊંચું કરીને જોવા માટે ભાનુમતિ પાસે ઝાઝો સમય હોતો નથી. વહેતા પાણીનો વિશાળ વિસ્તાર, વોચ ટાવર અને પાંદડાઓની વચ્ચે છુપાયેલા પક્ષીઓ તેમની નજર સામે ઝાંખા પડતા રહે છે. ક્રૂઝ બોટ પર એક રસોઈયો રાંધે છે અને ભાનુમતિ જેવા (રસોઈયાના) મદદગારો હંમેશા વ્યસ્ત રહેતા હોય છે. ભાતભાતના ભોજનની તૈયારી ચાલુ થાય ત્યારે બટાકા, દાળ અને ઈંડા બાફવાના હોય છે, લસણ અને આદુ સમારવાના હોય છે, અને વિવિધ પ્રકારના મસાલા પીસીને પેસ્ટ બનાવવાની હોય છે.
જેમ જેમ દિવસ ચડે તેમ તેમ ગરમી વધે છે અને રસોડામાં કામ કરતી મહિલાઓને થોડી ટાઢક વળે તે માટે ટૂંકા વિરામ લેવા પડે છે. તેઓ એકબીજાને કહે છે, "તારાતારી હાત ચલા [ઝડપથી કામ કરો]." લિપિકા મંડલ હસતા હસતા કહે છે, "એકવાર મોટર ચાલુ થાય પછી અમે જ બફાઈ જઈશું. એક રસોઈયા અને ક્યારેક મદદગાર તરીકે કામ કરતા લિપિકા મોટર ચાલવાથી પેદા થતી ગરમીનો ઉલ્લેખ કરી રહી રહ્યા છે, જે મોટરની બાજુમાં આવેલ વહાણના રસોડાના તાપમાનમાં વધારો કરે છે. મહિલા રસોઈયાઓ અને મદદગારો કહે છે કે સતત ગરમી હોય છે, અને થોડી ટાઢક વળે તે માટે પાંચ મિનિટ પણ આ ગરમીથી છૂટકારો મેળવવાનું શક્ય નથી.
આ ક્રૂઝ - કોલકતાથી 110 કિલોમીટરથી વધુ દૂર - સુંદરવનના ગોસાબા ટાપુ પર આવેલા પાખિરાલય ગામથી ઉપડે છે. તે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, તે સુંદરવનના મુખ્ય વન વિસ્તારનું પ્રવેશદ્વાર છે, અહીં બંગાળ વાઘ (પેન્થેરા ટાઇગ્રિસ ટાઇગ્રિસ) જોઈ શકાય છે.
ટૂર ઓપરેટરો સામાન્ય રીતે એક બોટમાં લગભગ 40 પ્રવાસીઓને લઈ જાય છે. છ કલાક ચાલતી દરેક ક્રૂઝની કિંમત એક મુસાફર માટે 2000 થી 5000 રુપિયાની વચ્ચે હોય છે. બે દિવસ ચાલતી લાંબી ક્રૂઝ વધુ ખર્ચાળ હોય છે. વહાણમાં સામાન્ય રીતે બે ડેક (તૂતક) હોય છે અને તળ મજલા પર પથારીઓ અને ઓશિકાં હોય છે પ્રવાસીઓ દિવસની ગરમીમાં અહીં આરામ કરી શકે છે.










