છોકરાને મન વિરાટ કોહલી એટલે એનો ભગવાન. અને છોકરી પૂજે બાબર આઝમને. કોહલી સદી ફટકારે ત્યારે છોકરો છોકરીને ચીડવે અને બાબર રમતમાં શાનદાર પ્રદર્શન કરે ત્યારે છોકરી છોકરાને ચીડવે. ક્રિકેટને લઈને થતી આવી મજાક-મશ્કરી એ આયેશા અને નુરુલ હસનની પ્રેમની ભાષા હતી, આ મજાક-મશ્કરી એવી તો મીઠ્ઠી હતી કે નુરુલ અને આયેશના લગ્ન એ પ્રેમલગ્ન નહીં પણ (બેઉ પરિવારના સભ્યો દ્વારા) ગોઠવાયેલા લગ્ન છે એ વાત માનવા તેમની આસપાસના લોકો તૈયાર નહોતા.
જૂન 2023માં ક્રિકેટ વર્લ્ડ કપનું સમય પત્રક જાહેર થયું ત્યારે આયેશાની આંખોમાં ચમક આવી ગઈ, તે ખુશખુશાલ થઈ ગઈ. 14 મી ઓક્ટોબરે ગુજરાતના અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં રાજાચે કુર્લે નામના પોતાના પિયરના ગામમાં બેઠેલી 30 વર્ષની આયેશા યાદ કરે છે, "મેં નુરુલને કહ્યું કે આ મેચ તો આપણે સ્ટેડિયમમાં જઈને જ જોવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજકાલ ભાગ્યે જ મેચ રમાય છે. આ એક દુર્લભ તક હતી, અમારા બંનેના મનપસંદ ખેલાડીઓને એકસાથે રમતા જોવાની."
વ્યવસાયે સિવિલ એન્જિનિયર 30 વર્ષના નુરુલે કેટલાક ફોનકોલ કર્યા અને બે ટિકિટોની ગોઠવણ થઈ ગઈ, દંપતીની ખુશીનો પર ન રહ્યો. ત્યાં સુધીમાં આયેશા તેની ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં હશે એ વાત ધ્યાનમાં રાખી તેઓએ સાતારા જિલ્લાના તેમના ગામ પુસેસાવળીથી અમદાવાદની 750 કિલોમીટરની આ મુસાફરીનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કર્યું હતું. ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી અને રહેવાની વ્યવસ્થા પણ કરાવી હતી. આખરે એ દિવસ આવી પહોંચ્યો પરંતુ એ દંપતી મેચ જોવા જઈ ન શક્યા.
14 મી ઑક્ટોબર, 2023 નો સૂરજ ઊગ્યો ત્યારે નુરુલને મૃત્યુ પામ્યાને મહિનો થઈ ગયો હતો અને આયેશા બરબાદ થઈ ગઈ હતી, સાવ ભાંગી પડી હતી.








