અનેશ્વરી બર્મન ગલેફામાં નાગરવેલનું પાન ખોસતાં ખોસતાં હસીને કહે છે, "ભોગોલ શોબાઈ બાનેર પાઈ, મોનોશાર ડ્યાલા શુદુ આમરાઈ બાનાઈ [શોલામાંથી કદમના ફૂલો તો કોઈ પણ બનાવી શકે છે, પણ મનસાના ડ્યાલા ફક્ત અમે જ બનાવીએ છીએ]."
58 વર્ષના અનેશ્વરીએ ઘૂંટણ સુધીની ઊંચી સાડી પહેરેલી છે અને વાળને ચુસ્ત બનમાં બાંધેલા છે, પોતાના આંચલ (સાડીના પાલવ/છેડા) વડે તેઓ હાથ અને ચહેરો લૂછે છે, અને પોતે હમણાં જ સાફ કરેલા આંગણાના સિમેન્ટવાળા ભાગ પર બેસી જાય છે. આ કુશળ શોલા કારીગરની રાહ જોતો ઊભો છે બીજો એક લાંબો દિવસ જેમાં તેમણે સતત ઘરેલુ કામકાજ અને હસ્તકલા કામનું કુશળતાપૂર્વક સંતુલન જાળવતા રહેવાનું છે.
જળાશયોમાં જોવા મળતા શોલા (એસ્કિનોમિનિ એસ્પેરા એલ) માંથી ધાર્મિક વિધિઓ માટેની અને સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. આ હસ્તકલા પશ્ચિમ બંગાળની ઘણી પ્રખ્યાત હસ્તકલા પરંપરાઓમાંની એક છે. કોચ બિહારના ઉત્તરીય જિલ્લામાં (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે) 4467 લોકોની વસ્તી ધરાવતા સિદ્ધેશ્વરી ગામમાં પોતાની આજીવિકા માટે શોલા હસ્તકલા પર આધાર રાખતા ઘણા પરિવારો છે. જોકે, કૂચ બિહાર-II બ્લોકના આ ગામમાં અનેશ્વરીના પરિવાર જેવા થોડા જ લોકોને મનસાના ડ્યાલા બનાવવાની કુશળતા વારસામાં મળી છે - મનસાના ડ્યાલા એ શોલાની દાંડીની અંદરના નરમ અને છિદ્રાળુ ભાગમાંથી બનેલી એક રચના છે, જેમાં સર્પ દેવી, મનસાની ચિત્રિત છબી રાખવામાં આવે છે.
તેઓ (પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ હેઠળ સૂચિબદ્ધ) રાજવંશી સમુદાયના તેમના પતિના પરિવારમાં (પેઢી દર પેઢી) ચાલી આવતી આ વિધિ વિશે ખૂબ ગર્વ સાથે કહે છે, "તમારા પરિવારમાં આ પરંપરા ન હોય તો તમે તે ન બનાવીશકો. પરંતુ અમે આ બનાવી શકીએ છીએ. આ (પરંપરા) અમારા પરિવારમાં છે,"

























