દુર્ગા દુર્ગા બોલે અમાર,
દોગથો હોલો કાયા,
એકબાર દે ગો મા,
ચોરોનેરી છાયા
બળે મારો દેહ રે,
‘દુર્ગા દુર્ગા’ હું જપું રે,
તમારી કૃપા મેળવવા સાંત્વના માટે,
હું તમને વિનવું રે મા…
દેવી દુર્ગાની સ્તુતિ ગાતાં કલાકાર વિજય ચિત્રકારનો અવાજ બુલંદ થાય છે. તેમના જેવા પૈટકાર કલાકારો સામાન્ય રીતે પહેલાં ગીત લખે છે અને પછી તેને અનુરૂપ ચિત્ર બનાવે છે − જે 14 ફૂટ જેટલું લાંબુ હોઈ શકે છે અને પછી તેને વાર્તા અને સંગીતના સંગમ સાથે દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે.
41 વર્ષીય વિજય ઝારખંડના પુર્બી સીંઘબુમ જિલ્લાના આમાદોબી ગામમાં રહે છે. તેઓ કહે છે કે પૈટકાર ચિત્રો સ્થાનિક સંથાલી વાર્તાઓ, ગ્રામીણ જીવનશૈલી, પ્રકૃતિ અને પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે. 10 વર્ષની વયથી પૈટકાર ચિત્રો બનાવતા વિજય કહે છે, “અમારો મુખ્ય વિષય ગ્રામીણ સંસ્કૃતિ છે; જે વસ્તુઓ અમે અમારી આસપાસ જોઈએ છીએ, તેનું અમે અમારી કળામાં નિરૂપણ કરીએ છીએ.” તેઓ સંથાલી ચિત્રના વિવિધ ભાગોને વર્ણવતાં કહે છે, “કર્મા નૃત્ય, બહા નૃત્ય, અથવા રામાયણનું ચિત્ર, મહાભારત, ગામડાનું દૃશ્ય. તે ઘરનાં કામ કરતી સ્ત્રીઓને, ખેતરમાં બળદો સાથે પુરુષોને અને આકાશમાં ઉડતાં પક્ષીઓને પણ બતાવે છે.”
“મેં આ કળા મારા દાદા પાસેથી શીખી છે. તેઓ એક ખૂબ જ પ્રખ્યાત કલાકાર હતા, અને તે સમયે લોકો તેમને સાંભળવા [તેમના ચિત્રોને ગાતા જોવા] કલકત્તા [કોલકાતા] થી આવતા હતા.” વિજયના પરિવારની ઘણી પેઢીઓ પૈટકાર ચિત્રકારો રહી છે અને તેઓ કહે છે, “પટયુક્ત આકાર, માને પૈટકાર, ઇસિલીયે પૈટકાર પેઇન્ટિંગ આયા [તેનો આકાર એક સ્ક્રોલ જેવો હતો, તેથી તેનું નામ પૈટકાર ચિત્ર પડ્યું].”
















