"યે બતાના મુશ્કિલ હોગા કી કૌન હિંદુ હૈ ઔર કૌન મુસલમાન [કોણ હિંદુ છે અને કોણ મુસલમાન એ કહેવું મુશ્કેલ છે]."
68 વર્ષના શબ્બીર કુરેશી પોતાની અને પોતાના પાડોશી 52 વર્ષના અજય સૈનીની વાત કરી રહ્યા છે. બંને અયોધ્યાના રહેવાસી છે અને રામકોટના દુરાહી કુઆં પાડોશમાં છેલ્લા 40 વર્ષથી એકબીજાના મિત્રો છે.
બંને પરિવારો વચ્ચે નજીકના સંબંધો છે, પરિવારો દૈનિક ચિંતાઓ વહેંચે છે અને એકમેક પર આધાર રાખે છે. અજય સૈની યાદ કરે છે, “એકવાર જ્યારે હું કામ પર હતો ત્યારે મને ઘેરથી ફોન આવ્યો કે મારી દીકરી બીમાર છે. હજી તો હું ઝડપભેર ઘેર પાછો ફરું એ પહેલા જ મારી પત્નીએ મને જાણ કરી કે કુરેશી પરિવાર અમારી દીકરીને હોસ્પિટલમાં લઈ ગયા છે અને તેમણે દવાઓ પણ ખરીદી લીધી છે.
તેઓ બંને ઘરની પાછળના વરંડામાં બેઠેલા છે. એ વરંડો ભેંસ, બકરીઓ અને અડધો ડઝન મરઘીઓથી ભરેલો છે. બંનેના પરિવારના બાળકો આજુબાજુ દોડી રહ્યા છે, રમી રહ્યા છે અને ગપસપ કરી રહ્યા છે.
જાન્યુઆરી 2024 નો સમય છે અને અયોધ્યામાં રામ મંદિર એક હાઈ-પ્રોફાઇલ ઉદ્દઘાટન માટે તૈયાર થઈ રહ્યું છે. એક નવી, ભારે, ડબલ-બેરિકેડેડ લોખંડની જાળીની વાડ તેમના ઘરોને આ મંદિરના પરિસરથી અલગ કરે છે.
એંસીના દાયકામાં જ્યારે સૈની અને તેમનો પરિવાર કુરેશીની બાજુના ઘરમાં રહેવા આવ્યા ત્યારે સૈની એક નાનકડા કિશોર હતા. તે સમયે જે બાબરી મસ્જિદ હતી તેના પરિસરમાં રામની મૂર્તિના દર્શન કરવા આવતા ભક્તોને એક રુપિયામાં ફૂલોની માળા વેચતા.
કુરેશીઓ મૂળે કસાઈ હતા, અયોધ્યા નગરની સીમમાં પરિવારની માંસની દુકાન હતી. 1992 પછીના રમખાણોમાં તેમનું ઘર આગમાં નાશ પામ્યા પછી પરિવારે વેલ્ડીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.
















