અનંતપુરમાં રેક્ઝીનનની વસ્તુઓ વેચતી દુકાનોવાળી શેરી, આંધ્રપ્રદેશના રાજકારણ વિષે ન્યૂઝ ચેનલના નિષ્ણાંતો કરતાંય વધુ માહિતી આપે છે. અનંતપુરના ઘણા જાહેર બુદ્ધિજીવીઓ, જગનમોહન રેડ્ડીને પાછલી ચૂંટણીમાં જીતતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ રેક્ઝીનની દુકાનોવાળા આ વિસ્તારે આનો અંદાજો પહેલાંથી જ લગાવી લીધો હતો. રેક્ઝીનની એક દુકાનના માલિક, ડી. નારાયણસ્વામી કહે છે, “અમે ચૂંટણીના થોડા મહિના પહેલાંથી જ, વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની છાપવાળા વધારેમાં વધારે થેલાની સિલાઈ શરૂ કરી દીધી હતી.”
થેલાના વેપારીઓએ પરિસ્થિતિને પહેલાંથી જ પારખી લીધી હતી. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની છાપવાળા થેલાની ભારે માંગે અહિંયાં 2019ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની ભવિષ્યવાણી કરી દીધી હતી.
1990ના દાયકામાં, આ દુકાનો મુખ્યત્વે સસ્તા અને ટકાઉ સ્કૂલબેગ બનાવતી હતી. મેં પણ તેમાંથી થોડી ખરીદી હતી. પછીના દાયકામાં, સ્કૂલબેગ ખરીદવા માટે જૂતાની દુકાનો વધુ જાણીતું સ્થળ બની ગઈ હતી. અને રેક્ઝીનની દુકાનોએ ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓના ફોટાવાળા બાઇક પર લટકાવવાના થેલા વેચવાનું શરૂ કર્યું, સાથે સાથે તેમની મુખ્ય વસ્તુઓ, જેમ કે ઓટોરિક્ષા અને સોફા માટેનાં સીટ કવર અને કારનાં કવર પણ વેચતા હતા. 2019ની ચૂંટણી પહેલાં રાજકીય ડિઝાઇનવાળા થેલાનું વેચાણ સૌથી વધારે હતું. અગાઉની સરકારમાં ફાયદો મેળવનાર તેલુગુ દેશમ પાર્ટીના એક મતદારે મને 2019માં કહ્યું, “અમે ભૂખ્યા રહીશું તો પણ, અમે અમારી પાર્ટીના ઝંડા સાથે ફરીશું. અમારે જવું જ પડશે, અમારી પાસે કોઈ વિકલ્પ નથી.” મને યાદ છે કે મેં તેની બાઇક પર ટીડીપીનો થેલો જોયો હતી.




