જસવીર સિંહ કહે છે, “અહીંયાં યુદ્ધ પણ એટલી તબાહી નથી મચાવતું જેટલી પૂર મચાવે છે.” 73 વર્ષીય ખેડૂત, ભારત-પાકિસ્તાન સરહદ પર કાંટાળી વાડની પેલે પાર આવેલા તેમના પાણીમાં ડૂબી ગયેલા ખેતરોમાંથી પાછા ફરી રહ્યા છે.
જસવીર સિંહે સતલજ નદીનો ઉલ્લેખ કરતાં, સપ્ટેમ્બર 2025ના અંતમાં પારીને જણાવ્યું હતું, “જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. દરિયા ને કબજા કર લિયા હૈ [નદીએ જાણે બધું હડપ કરી લીધું છે]. પાણી લગભગ 15થી 20 ફૂટ ઊંડું હશે.”
વાલે શાહ હિથાર ગામની 40 એકર ખેતીની જમીન લગભગ 1990માં બનાવવામાં આવેલી કાંટાળી વાડ અને કોંક્રિટના થાંભલાઓથી ચિહ્નિત આંતરરાષ્ટ્રીય સરહદની વચ્ચે આવેલી છે. આ જમીન ખેડતા ખેડૂતોને પોતાનાં ખેતરોમાં જવા માટે BSFની પરવાનગી લેવી પડે છે. જસવીર સિંહના પરિવાર પાસે અહીં 19 એકર જમીન છે, જે તેઓએ 1980માં ખરીદી હતી. ત્યારે સરહદી ગામડાંઓમાં જમીન સ્કૂટી પરથી 30 મિનિટના અંતરે આવેલા ઠેહ કલેન્દર તેમના પોતાના ગામ કરતાં ઘણી સસ્તી હતી.
જ્યારે ઑગસ્ટ 2025માં પંજાબમાં પૂર આવ્યું, ત્યારે જસવીર સિંહની 15 એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. લણણી માટે તૈયાર ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. જાન્યુઆરી 2026માં પારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “જમીન હજી પણ ખૂબ ભીની હોવાથી ઘઉંની વાવણી થઈ શકી નથી. લગભગ સાત-આઠ એકરમાંથી પાણી ઓસરી ગયું છે, પણ તેને ખેતી માટે તૈયાર થતાં કદાચ મારે બીજા છ મહિના કે એક વર્ષ સુધી રાહ જોવી પડશે.” પાકની બે મોસમ તો પહેલેથી જ નિષ્ફળ ગઈ છે.
આ પૂરે આખા પંજાબમાં ઓછામાં ઓછા 40 લોકોનો ભોગ લીધો છે, 7,161 પશુઓ તણાઈ ગયાં છે, અને 14,000થી વધુ ઘરો તેમજ લગભગ 200,000 હેક્ટર પાકવાળી જમીનને નુકસાન પહોંચાડ્યું છે. ફાઝિલ્કા જિલ્લાના વલ્લે શાહ હિથાર ગામમાં રહેતા જસવીર જેવા જ એક ખેડૂત અશોક સિંહ કહે છે, “જદો પક્કન તે આયે ઔદો હડ્ડ રુલ કે લે ગયા. [જ્યારે ડાંગર લણવા માટે તૈયાર હતી, ત્યારે પૂર બધું જ ખેંચી ગયું].”
40 વર્ષીય અશોક સિંહ પારીને પોતાની વ્યથા કહે છે, “હું શાંતિથી સૂઈ શકતો નથી. જો એક વાર ઊંઘ ઊડી જાય, તો આખી રાત ચિંતામાં જ પસાર થાય છે.” તેમના પરિવાર પાસે વાડની બરાબર પેલે પાર 10 એકર જમીન છે જ્યાં તેઓએ ડાંગર વાવી હતી. આખું ખેતર પાણીમાં ડૂબી ગયું હતું. આ જમીનની ઊપજ પર તેમના 10 સભ્યોના પરિવારનું ગુજરાન ચાલે છે.
















