રાધાબાઈ અને ચિમનાબાઈ બપોરનું ભોજન પતાવીને આરામ કરી રહ્યાં છે, અને કાજલ પણ આરામ ફરમાવી રહી છે. સતારાના મ્હસવડની આ છાવણીમાં બપોરના સમયે પણ ઠંડક વર્તાય છે. પણ બદામ બેચેન છે અને બે દિવસથી બરાબર ચારો ખાતો નથી.
આ ચારેયને છાવણીમાં આવ્યાને લગભગ 20 દિવસ થઈ ગયા છે. તેઓ સતારા જિલ્લામાં આવેલા પોતાના ગામ વલઈથી લગભગ 16 કિલોમીટર ચાલીને અહીં પહોંચ્યાં છે. ઘાસચારાની ભારે તંગીએ તેમને બહુ પરેશાન કર્યાં હતાં - કેમ કે એ જ તો તેમના પોષણનો મુખ્ય આધાર છે.
એટલે જ, 40 વર્ષનાં લક્ષ્મી કાલેલ અને તેમના 60 વર્ષીય પતિ પરમેશ્વર અન્ના કાલેલ, પોતાની બે ભેંસો - રાધાબાઈ અને ચિમનાબાઈ, એક ગાય કાજલ અને બળદ બદામને લઈને મ્હસવડની છાવણી સુધી ચાલીને આવ્યાં. છાવણીના એક ડેપોમાંથી પોતાનાં પશુઓ માટે શેરડીના સાંઠા લાવતાં લક્ષ્મી કહે છે, “તેમને ટેમ્પામાં લાવવાનો ખર્ચ 800-1,000 રૂપિયા જેટલો થાય, અને એટલા પૈસા ખર્ચવા અમને પોસાય તેમ નહોતું. એટલે અમે ચાલીને જ આવવાનું નક્કી કર્યું.”
પ્લાસ્ટિકની તાલપત્રીમાંથી બનેલા તંબુ પાસે બેસીને તેઓ કહે છે કે તેમને અને ઢોરને છાવણીમાં મૂકીને પરમેશ્વર ઘરે પાછા જતા રહ્યા હતા. “અહીં મારે ત્રણ રાત ખુલ્લા આકાશ નીચે સૂવું પડ્યું. પછી, મારા ભત્રીજા અને નવા ‘પડોશીઓ’ની મદદથી મેં આ તંબુ અને મારા ચાર પશુઓ માટે એક છાપરું બનાવ્યું.” આવી મદદના બદલામાં લક્ષ્મી ક્યારેક પોતાના પડોશીઓને જમવાનું કે ચા પીવડાવે છે.









