અહીં હજારો વિચરતા પશુપાલકો છે - અને બીજા વધારે આવી રહ્યા છે. તેઓ વિવિધ સમુદાયોમાંથી છે - મૂળે મહારાષ્ટ્રના ધનગર અને કર્ણાટકના કુરુબા. તેમના વાર્ષિક સ્થળાંતરના માર્ગો ગમે તે હોય દર ઓક્ટોબર-નવેમ્બરમાં તેઓ ભેગા થાય છે અને અહીં પટ્ટણ કોડોલી ગામમાં ભેગા થવા માટે પ્રતિકાત્મક પીળા વાદળોને અનુસરે છે.
હાતકણંગલે તાલુકાના આ સાવ સાધારણ ગામમાં વિઠ્ઠલ બિરદેવ મહારાજના મંદિર ખાતે તે બંને સમુદાયના દેવતા વિઠ્ઠલ બિરદેવ મહારાજની જન્મજયંતિ ઉજવવાનો આ સમય છે. આ પ્રસંગે કોલ્હાપુરમાં કંઈક અલગ જ વર્ષા થાય છે અને અવનવું પૂર ઉમટે છે. જીવન, ઘરો અને ખેતરોનો વિનાશ વેર્યા વિના - જિલ્લામાં ચારેતરફ આનંદ- મંગળ વરસે છે અને નાચતા ભક્તોનું પૂર ઉમટે છે.
દેશભરમાંથી વિઠ્ઠલ બિરદેવને ભરવાડો અને ખેડૂતોના રક્ષક માનતા ઘણા સમુદાયો, ધનગર અને કુરુબા સમુદાયોના પેટા-જૂથો અને પેટા-જાતિઓની ભીડ આ તહેવાર માટે મહારાષ્ટ્રમાં જમા થાય છે. એક યાત્રાળુ મને કહે છે, "અમારે માટે વિઠ્ઠલ બિરદેવ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેઓ અમારા દૈવી રક્ષક છે, અમારી આધ્યાત્મિક શાંતિ છે, અમારા માર્ગદર્શક છે. તેઓ અતૂટ શ્રદ્ધા, આશા અને ભક્તિનું પ્રતીક છે."





























