જાન્યુઆરી મહિનાના અંતમાં જ્યારે બે મહિનાનું ભેંસનું પાડરું મરી ગયું, ત્યારે સારિકા સાવંત ચિંતાના વમળમાં ઘેરાઈ ગયાં હતાં. તેઓ કહે છે, “મને લાગે છે કે મકાઈના ડોડામાં કોઈ મોટો કીડો રહી ગયો હશે. પાડરું કદાચ એ ગળી ગયું... એટલે જ ગઈકાલથી ભેંસે દૂધ આપવાનું બંધ કરી દીધું છે,” જ્યારે અમે તેમને મ્હસવડ શહેરની પશુ છાવણીમાં મળ્યા ત્યારે તેઓએ આ વાત કહી.
આ નુકસાન તો એમને ગયા વર્ષે દિવાળીની આસપાસ બે ગાયો મજબૂરીમાં વેચી દેવી પડી, તે પછી થયું. હવે પરિવાર પાસે ચાર જર્સી ગાયો, ત્રણ ભેંસો અને બે વાછરડાં બચ્યાં છે. દૂધ જ તેમની આવકનો મુખ્ય આધાર છે. પણ, સારિકા કહે છે, “બે વર્ષથી વરસાદનું એક ટીપુંય નથી પડ્યું. દિવાળી [ઓક્ટોબર-નવેમ્બર 2018] પછીથી જ ગામના કૂવા તળિયાઝાટક થઈ ગયા અને ત્યારથી અમે પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યાં છીએ. ન સૂકો ચારો છે, ન લીલું ઘાસ, અમે અમારાં ઢોરને શું ખવડાવીએ? અને માથે દેવાનો બોજ તો સતત વધતો જ જાય છે...”
દુકાળનો આ બોજ અસહ્ય બનતાં, મરાઠા સમુદાયનાં 24 વર્ષીય સારિકા અને 32 વર્ષીય અનિલ, તેમના ગામ હવાલદારવાડીથી લગભગ 15 કિલોમીટર દૂર મ્હસવડની પશુ છાવણીમાં રહેવા આવી ગયાં છે. તેમનું 994 લોકોની વસ્તી ધરાવતું ગામ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માણ તાલુકામાં આવેલું છે.
31 ઓક્ટોબર, 2018ના રોજ, મહારાષ્ટ્રના 26 જિલ્લાના 151 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાંથી 112 તાલુકાઓ ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. માણદેશ પ્રદેશના તમામ તાલુકાઓ આ યાદીમાં સામેલ છે – સતારા જિલ્લાના માણ અને ખટાવ તાલુકા, સાંગલી જિલ્લાના જત, આટપાડી અને કવઠેમહાંકલ તાલુકા, અને સોલાપુર જિલ્લાના સાંગોલા અને માલશિરસ. માણદેશી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ પશુ છાવણીમાં હાલ માણદેશના 64 ગામોના 2,500થી વધુ લોકો અને 8,000થી વધુ પશુઓ આશરો લઈ રહ્યાં છે. (જુઓ: ફેમિલીઝ સેપરેટેડ બાય ધ સર્ચ ફોર ફોડર અને ચિમનભાઈ ગેટ્સ ટુ ઇટ ફાઇનલી, વિથ અધર્સ)








