જ્યારે દેબહાલ ચકમાનો જન્મ થયો ત્યારે અંધકારમય આકાશમાં ઘેરાં વાદળો છવાયેલાં હતાં. તેથી તેમનાં માતા-પિતાએ તેમના માટે એક એવું નામ પસંદ કર્યું, જેનો અર્થ તેમની ચકમા ભાષામાં ‘અંધકારમય આકાશ’ થાય છે. દેબહાલ પર અંધકાર આખી જીંદગી સુધી છવાયેલો રહ્યો — તેઓ ત્રણ વર્ષની ઉંમરે અછબડાના હુમલા પછી અંધ થઈ ગયા હતા અને ત્યારપછી તેમને તીવ્ર અતિસાર થયો, જેના કારણે તેમને રાતાંધળાપણું (રાત્રિનું અંધત્વ) થયું અને અંતે દૃષ્ટિ ગુમાવવી પડી.
પરંતુ દેબહાલ આનાથી ભાગ્યે જ નિરાશ થયા છે. દેબહાલે 16 વર્ષની ઉંમરે પોતાની જાતે વાંસની ટોપલીઓ બનાવવાની કળા શીખી હતી. દેબહાલ હવે 65 વર્ષના થાય છે, અને કહે છે, “વાંસની પટ્ટીઓ વડે ભાત પાડીને તેને કેવી રીતે વણવી તે હું મારી જાતે જ શીખ્યો છું. જ્યારે હું યુવાન હતો, ત્યારે મારી પાસે વાંસનું ઘર બનાવવા માટે પૂરતી શક્તિ હતી.”
દેબહાલ મિઝોરમના મામિત જિલ્લાના ઝવલનુમ બ્લોકમાં 3,530ની વસ્તી ધરાવતા રાજીવનગર ગામમાં રહે છે. તેઓ ચકમા સમુદાયના છે, જે એક અનુસૂચિત જનજાતિ, જેમાંથી ઘણા લોકો બૌદ્ધ ધર્મ પાળે છે, અને તેમનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે. આ જિલ્લાની ટેકરીઓ ફળદ્રુપ જમીન ધરાવે છે જેના પર ઘણા લોકો ઝુમ અથવા સ્થળાંતર ખેતી કરે છે અને મકાઈ, ડાંગર, તલ, સોપારી, અનનાસ અને અન્ય પાક ઉગાડે છે. તેમાં ગાઢ વાંસનાં જંગલો અને સાવરણી બનાવવા માટેના છોડનું વાવેતર પણ થાય છે, જેમની સ્થાનિક અર્થતંત્રમાં કેન્દ્રિય ભૂમિકા છે.




