મનોજ ચૌધરીની દુનિયાને વિખેરાઈ જતાં ક્ષણ વાર પણ ન લાગી.
ચંદ્રપુરના એક ગામડામાં આવેલા પોતાના ઘરે વાત કરતાં, 35 વર્ષીય મનોજ કહે છે, “મારાં મા અને પત્ની જ મારી દુનિયા હતાં, અને હવે મારી પાસે ફક્ત મારાં બે બાળકો જ બચ્યાં છે.”
“હું અને મારાં બાળકો સૂતાં હતાં ત્યારે જ મારાં મા અને પત્ની જંગલ જવા નીકળી ગયાં હતાં.” કલાકો પછી, 10 મે, 2025ના રોજ, 60 વર્ષીય કાંતા બુધાજી ચૌધરી અને 30 વર્ષીય શુભાંગી, તેમના ગામથી બે કિલોમીટર દૂર ઝાડીવાળા જંગલમાં વાઘના હુમલામાં માર્યાં ગયાં. તેમનાં આશરે 50 વર્ષના પાડોશી, સારિકા શાલિક શેંડે, આ દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં ત્રીજા હતાં.
આ ત્રણેય મહિલાઓ, અન્ય લોકો સાથે, જંગલમાં તેંદુનાં પાન વીણવા ગઈ હતી.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલું, હજારથી વધુ વસ્તી ધરાવતું મેંઢા (માલ) ગામ શોકમાં ડૂબી ગયું. ગામના મોટાભાગના લોકો નાના ખેડૂતો અથવા મનોજ જેવા ભૂમિહીન મજૂરો છે, જેઓ રાજ્ય અને દેશના અન્ય શહેરોમાં મોસમ પ્રમાણે સ્થળાંતર કરે છે. દર વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં, તેઓ પોતાની આવકમાં થોડો વધારો કરવા માટે જંગલમાંથી તેંદુનાં પાન અને મહુડાનાં ફૂલ એકઠાં કરે છે.
સિંદેવાહી તાલુકામાં આવેલું આ ગામ સરકારી રેકોર્ડમાં મેંઢામાલ ગુજરી તરીકે નોંધાયેલું છે, પરંતુ ગામની બહાર એક બોર્ડ પર તેનું નામ ‘મેંઢા (માલ)’ લખેલું છે. આ ગામ તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ (TATR)ની નજીક આવેલું છે, જેનો મુખ્ય અથવા અતિસુરક્ષિત વિસ્તાર 625 ચોરસ કિલોમીટર અને તેની આસપાસનો માનવ વસ્તી ધરાવતો બફર વિસ્તાર લગભગ 1,102 ચોરસ કિલોમીટર છે.
વન વિભાગના તાજેતરના આંકડા મુજબ, ચંદ્રપુર જિલ્લામાં 223 વાઘ છે, જેમાંથી લગભગ 120-125 TATRની અંદર રહે છે. ગામલોકોના કહેવા મુજબ, મેંઢા (માલ)માં કોઈ જંગલી બિલાડી (વાઘ) દ્વારા માર્યું ગયું હોય તેવી આ પહેલી ઘટના હતી.
ગામલોકો પોલીસ અને વન અધિકારીઓને ટાંકીને કહે છે કે ત્રણ બચ્ચાંવાળી એક વાઘણે આ ત્રણેય મહિલાઓને ફાડી ખાધી હતી.
આ મૃત્યુથી ભારે આક્રોશ ફાટી નીકળ્યો, થોડા સમય માટે વિરોધ પ્રદર્શનો થયાં અને સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લાના અન્ય રાજકારણીઓએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને ગ્રામજનોને શાંત પાડવા માટે ત્યાં આવીને તેમની મુલાકાત લેવાની ફરજ પડી હતી.
























